આફિયત (સલામતી) માંગવી
રિવાયતમાં છે કે હઝરત રસુલે ખુદા (સ.અ.વ)ને પુછવામાં આવ્યું કે જેને આ શબે કદ્ર નસીબ થાય તેણે અલ્લાહ પાસે શું માંગવું જોઈએ ? હઝરત (સ.અ.વ) એ જવાબ આપ્યો: આફિયત (સલામતી).
આ દુઆ ઈમામ સજ્જાદ (અ.) ની આફ્રિયત માટેની દુઆ છે જે સહીફએ સજ્જાદીય્યાહ ની દુઆ નંબર ૨૩ છે જે નીચે મુજબ છે:
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે. અય અલ્લાહ ! હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની આલ ઉપર રહમત નાઝિલ કર. મને તારી સુરક્ષાનો પોશાક અતા કર, મને તારી સુરક્ષા થકી સન્માનિત કર, તારી સુરક્ષા થકી મારી હિફાઝત કર, તારી સુરક્ષા થકી મને સ્વતંત્ર બનાવ, સદકામાં મને તારી સુરક્ષા અતા કર, મને તારી સુરક્ષા અતા કરી મારા ઉપર એહસાન કર, તારી સુરક્ષા મારા માટે વિસ્તૃત કર, તારી સુરક્ષા મારા માટે યોગ્ય બનાવ અને આ દુનિયામાં તથા આખેરતમાં તેની તથા મારી વચ્ચે કોઈ અંતર ન રાખ.
અય અલ્લાહ! હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની આલ ઉપર રહમત નાઝિલ કર. મને એવી સુરક્ષા અતા કર જે પૂરતી હોય, શફાઅત આપનારી હોય, સર્વોચ્ચ હોય, વૃદ્ધિ પામનારી હોય અને એવી સુરક્ષા હોય જે મારા શરીરમાં પણ સુરક્ષા ઉત્પન્ન કરે, આ દુનિયાની સુરક્ષા અને આખેરતની પણ. મને તંદુરસ્તી, ઈમાન, શરીરની સલામતી અને શાંતિ અતા કર. મને દિલમાં સાચી રાહ (બસીરત), મારી કારકિર્દીમાં સફળતા, તારો ખોફ તથા ડર, અને તેં હુકમ કરેલ કામો પર અમલ કરવાની તોફીક અતા કર, તેં મનાઈ ફરમાવેલી વસ્તુઓ તથા કામોથી પરહેઝ કરવાની તૌફીક અતા કર.
મને હજ્જ તથા ઉમરા નસીબ કરી મારા ઉપર એહસાન કર, તારા રસુલ (સ.અ.વ.)ની કબરે મુબારકની ઝિયારત કરવાની તૌફીક અતા કર, તેમના ઉપર તથા તેમની આલ ઉપર તારી રહેમતો-બરકત નાઝિલ કર અને તેમની આલ (અ.)ની કબરે મુબારકની ઝિયારત કરવાની તૌફીક અતા કર, આ વર્ષે ભવિષ્યના દરેક વર્ષોમાં, જયાં સુધી હું જીવિત રહું. અને મારાથી આ ઈબાદતને તારી બારગાહમાં કબૂલ કર, મંજૂરીને લાયક બનાવ અને તેને મારા અમલનામાના હિસાબમાં તારી બારગાહમાં જમા કર તથા યાદીમાં સલામત રાખ.
મારી જીભને તારા વખાણ કરવાની, તારો શુક્ર અદા કરવાની, તારો ઝિક્ર કરવાની અને તારી હમ્દો-સના કરવાની તૌફીક અતા કર. તારી અતા કરેલી ઈમાનની હિદાયત થકી મારા દિલને બહોળું કર અને મને તથા મારી ઓલાદને એ શૈતાનથી પનાહ અતા કર જેને તારી બારગાહમાંથી પથ્થરો મારી હાંકી કાઢવામાં આવ્યો હતો. તારી ઝેરી તથા ડંખનારી, બીભત્સ તથા કપટી મલૂકની ખરાબીથી મને પનાહ અતા કર, દરેક માથા ભારે શૈતાનની ખરાબીથી પનાહ અતા કર, દરેક જુલમી બાદશાહની ખરાબીથી મને પનાહ અતા કર અને દરેક ઈર્ષાળુ તથા ધંમડી શ્રીમંતોની ખરાબીથી મને પનાહ અતા કર, દરેક નબળા તથા શક્તિશાળીની ખરાબીથી, દરેક ઉચ્ચ તથા નીચ લોકોની ખરાબીથી, દરેક નાના તથા મોટા લોકોની ખરાબીથી. દરેક નજીકના તથા દૂરના લોકોની ખરાબીથી અને દરેક મનુષ્ય તથા જિન્નોની ખરાબીથી મને પનાહ અતા કર જેઓ તારા રસૂલ (સ.અ.વ.) તથા તેમની આલના દુશ્મન અને તેમની સાથે જંગ કરનારા હતા. પૃથ્વી ઉપર ચાલનારી દરેક મખ્લૂકની ખરાબીથી તથા જેઓની પકડ તારા કબજામાં છે તેઓની ખરાબીથી મને પનાહ અતા કર. નિ:શંક, તારો રસ્તો સીધો રસ્તો છે.
અય અલ્લાહ ! હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની આલ ઉપર રહમત નાઝિલ કર. જે કોઈ પણ મારા સંબંધી મારી ખરાબી ઈચ્છે છે તેને મારાથી દૂર કર, મારા સંબંધી તેની લુચ્ચાઈને નાબૂદ કર, તેની ખરાબીને મારાથી દૂર કર, તેના ફરેબને તેના જ ગળા ફરતો નાખી દે, તેની સમક્ષ એક દીવાલ ઊભી કરી દે જેથી તે આંધળો બની જાય તથા મને જોઈ ન શકે, તેને બહેરો બનાવી દે જેથી મારા વિષે તે કંઈ સાંભળી ન શકે, તેના દિલ ઉપર મોહર લગાવી દે જેથી મારા સંબંધી તે કંઈ પણ વિચાર ન કરી શકે, તેને મૂંગો બનાવી દે જેથી તેની જીભ મારા વિષે કંઈ પણ બોલી ન શકે, તેનું માથું પકડી તેને બે ઇજજત કરી દે, તેના ઘમંડને તોડી નાખ તથા તેની ગરદન નમાવી દે, તેની બડાઈનો નાશ કર અને તેની દરેક ખરાબીઓથી, બદકારીઓથી, નિંદાઓથી, અફવાઓથી, મને બદનામ કરવાની ક્રોશિશોથી, ફરેબોથી, હથિયારોથી, ફંદાઓથી અને તેના સિપાહીઓ તથા લશ્કરથી મને સુરક્ષા અતા કર. નિ:શંક, નું શક્તિશાળી અને (દરેક વસ્તુ ઉપર) કુદરત ધરાવનાર છે ! તારી રહમત થકી, અય રહેમ કરનારાઓમાં સૌથી વધારે રહેમ કરનાર !